અદ્વૈત

વેદાંત વિશે

વેદાંત એટલે શું? અને આજે તે કેમ શીખવું જોઈએ?

વેદાંત શબ્દનો અર્થ થાય છે 'વેદોનો નિષ્કર્ષ'. વેદાંત એટલે વેદોનો અંતિમ ભાગ અથવા 'વેદોનો સાર'. તે ભારતીય ફિલસૂફીની એક આસ્તિક પરંપરા છે, જેને 'ઉત્તર મીમાંસા' પણ કહેવાય છે. વેદાંત મનુષ્ય અને પરમાત્મા તથા આત્મા અને બ્રહ્મ વચ્ચેના સંબંધો અને પરમ સત્યની શોધ વિશે જ્ઞાન આપે છે.

જો આપણે આપણા જીવનનું પ્રામાણિકપણે અવલોકન કરીએ, તો આપણે જોઈ શકીએ છીએ કે આપણાં જીવનનાં બધાં કાર્યો પાછળ ફક્ત બે પ્રકારના ધ્યેય હોય છે; જીવનનિર્વાહ અને સુખપ્રાપ્તિ.
મોટા ભાગનો સમય આપણે જીવન જરૂરિયાત પૂરી કરવા માટે કામ કરીએ છીએ. બાકીના સમયનો ઉપયોગ આપણે મનોરંજન અને ખુશી આપતા અનુભવો મેળવવા માટે કરીએ છીએ. છતાં જ્યારે બંને પ્રાપ્ત થાય છે, ત્યારે પણ જીવનમાં કંઈક ખૂટતું હોય તેવું લાગે છે.
બાળપણથી વૃદ્ધાવસ્થા સુધી, એક સત્ય સતત રહે છે: અભાવ અને અપૂર્ણતાની સૂક્ષ્મ લાગણી.
આ અપૂર્ણતા કે અભાવ એ જીવનની એક સ્વાભાવિક પ્રક્રિયા છે. અભાવ એ અધૂરપ નથી. પરંતુ, તે જીવનમાં નવીનતા અને વિકાસની તક પણ આપે છે, કારણ કે અપૂર્ણતા જ પૂર્ણતા મેળવવાની તીવ્ર ઝંખના જગાડે છે.
છતાં લોકો તેને સમજવાના બદલે આખું જીવન તે ખાલી જગ્યા ભરવાના અનંત પ્રયાસમાં કાઢી નાખે છે:
  • વધુ સંપત્તિ
  • વધુ સફળતા
  • વધુ પ્રતિષ્ઠા અને માન સન્માન
  • વધુ મનોરંજન
પરંતુ કંઈ પણ કાયમી પરિપૂર્ણતા પ્રદાન કરી શકતું નથી.

વેદાંત જ્ઞાન જે આત્મસાક્ષાત્કારની ની વૈદિક પદ્ધતિની સમજ પૂરી પડે છે, તે આપણી પૂર્ણતા મેળવવાની ઝંખનાને યોગ્ય પરિણામ સુધી પહોંચાડવામાં મદદરૂપ થાય છે.

વેદાંત વિશે મુખ્ય માહિતી:
અર્થ: વેદ + અંત = વેદોનો અંતિમ સિદ્ધાંત.
મુખ્ય સ્ત્રોત (પ્રસ્થાનત્રયી): ઉપનિષદ, ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર.
મુખ્ય વિષય: બ્રહ્મ (સર્વોચ્ચ વાસ્તવિકતા), આત્મા અને સંસાર.

વેદાંત દર્શન નો મુખ્ય સ્ત્રોત ઉપનિષદ માનવામાં આવે છે, જે વેદના અંતિમ સિદ્ધાંતોનું પ્રતિનિધિત્વ કરે છે. ઉપનિષદોને વૈદિક સાહિત્યનો અંતિમ ભાગ માનવામાં આવે છે. તેથી જ તેને “વેદાંત દર્શન” પણ કહેવામાં આવે છે.
ટૂંકમાં, વેદાંત એ વેદોના કર્મકાંડ પછી આવતું જ્ઞાનકાંડ છે જે આત્મ-જ્ઞાન અને મુક્તિનો માર્ગ દર્શાવે છે.
તે જ્ઞાનમાં મુખ્યત્વે ત્રણ જાતના જ્ઞાનનો સમાવેશ થાય છે. એક તો પરમાત્મા સંબંધી જ્ઞાન, બીજું જીવાત્મા સંબંધી જ્ઞાન અને ત્રીજું જીવાત્મા ને પરમાત્માના સંબંધ તેમજ મિલન અથવા સાક્ષાત્કાર વિશેનું જ્ઞાન અને તે ઉપરાંત જીવ, જગત અને પરમાત્મા એ ત્રણેયના સંબંધનું જ્ઞાન. આ સંબંધ જાણીને પરમાત્માની પ્રાપ્તિ માટે જે પુરુષાર્થ કે સાધના થાય છે તે આ જ્ઞાનની અંદર આવી જાય છે. તેવી અનેકવિધ સાધના શાસ્ત્રોમાં વર્ણવેલી છે. પણ તેને મુખ્યત્વે ઉપાસના કે ક્રિયાયોગ એ બે વિભાગોમાં વહેંચી નાખવામાં આવી છે. આમ વેદાંતનો અર્થ બહુ વ્યાપક છે. પણ વિદ્વાનોમાં વેદના જ્ઞાનમાર્ગના નિષ્કર્ષરૂપ બ્રહ્મસૂત્ર, ઉપનિષદ અને ગીતા આ ત્રણેયનો વેદાંતના મુખ્ય પ્રમાણભૂત ગ્રંથો તરીકે સ્વીકાર થાય છે. આ ઉપરાત શંકરાચાર્યના અદ્વૈત વિષયક ગ્રંથો પણ વેદાંતના પ્રમાણિત ગ્રંથો મનાય છે. શંકરાચાર્યે વેદાંતના સિધ્ધાંતોને તારવી કાઢીને પુન: સ્થાપિત કર્યા છે, તેમજ તેનો પ્રચાર પણ વિશાળ પાયા પર કર્યો છે. આને લીધે કેટલાક વિદ્વાનો શંકરાચાર્યની ફિલસુફીને, તેમના ગ્રંથોને જ વેદાંત માને છે. પણ વેદાંતનો અર્થ વિશાળ હોઈ ને કેવળ અદ્વૈતવાદ જ નહિ પણ જ્ઞાનના બધા જ મહત્વના સિધ્ધાંતો - જે ભારતમાં પ્રાચીનકાળથી અર્વાચીનકાળ સુધી પ્રચલિત થયા છે અને જે હજી પણ પ્રચલિત થશે, તેમનો વેદાંતમાં સમાવેશ કરવામાં કાંઈ હરકત નથી. તેમાં ક્રમવિકાસ હોઈ શકે પણ જુદાજુદા સિધ્ધાંતો એકમેકના પૂરક છે એ ભૂલવાનું નથી.


જ્ઞાન કેવળ ચર્ચાને માટે, વિનોદને માટે કે ફુરસદનો સમય કાઢવા માટે નથી, તેનું તો જીવનમાં મહત્વનું સ્થાન છે; જેમ પ્રાણનું દેહમાં છે તેવું. એટલે તે સંજીવની બૂટી છે. તે દ્વારા જીવનની જડતા દૂર કરવાની છે, નિર્બળતાને ખંખેરી કાઢવાની છે ને સર્વે જાતના (માનસિક) બંધનથી મુક્તિ મેળવવાની છે.

તમે દર મહિને બીજા અને ચોથા શનિવારે સાંજે ૭ થી ૮ નિઃશુલ્ક વેદાંત શીખવા માટે અમારી સાથે જોડાઈ શકો છો.
Address:
B-10 Aarohi Apartment,
Behind New York Trade Centre,
Near Thaltej metro station,
S.G. Highway, Thaltej - 380054,
Ahmedabad (GUJARAT)
જો તમને કોઈ મદદની જરૂર હોય તો અમારો સંપર્ક કરો:
📩 support@vedantainsights.org

ચાલો, આપણે સાથે મળીને વિકાસ અને મુક્તિની આપણી યાત્રામાં આત્મજ્ઞાન મેળવવા માટે પ્રયત્ન કરીએ.